
Shraddha Paksha: આવતીકાલથી શરૂ થઇ રહ્યાં છે શ્રાદ્ધ , શ્રાદ્ધની આ વિધિ કરવાથી પિતૃઓ થશે પ્રસન્ન
Pitru Paksha 2024 : આ રીતે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ થશે પ્રસન્ન, જાણો ક્યારે અને કોણ શ્રાદ્ધ કરી શકે.
હિંદુ ધર્મમાં પિતૃ પક્ષ જેને શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ મહાલય કહેવામાં આવે છે આ પર્વને પિતૃઓના આત્માની તૃપ્તિ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. સ્વયં યમરાજે આત્માને શ્રાદ્ધ પક્ષમાં પૃથ્વી પર પોતાના વંશજોને ત્યાં જવાની છૂટ આપી છે જેથી પિતૃ લોકથી તૃપ્ત થવાની આશા સાથે પોતાને નિવાસે શ્રાદ્ધ પક્ષમાં આવે છે તેથી જ પુરાણોમાં શ્રાદ્ધ કર્મને સૌથી મોટું પુણ્ય કાર્ય કહ્યું છે જે મનુષ્ય પોતાના પિતૃઓ તૃપ્ત થાય તેવી ભાવનાથી પિતૃ શ્રાદ્ધ કરે છે તેના પાપો નાશ પામે છે તેનું પુણ્ય જાગે છે તેને પિતૃ દેવોના આશિર્વાદ મળે છે, પૂર્વજો રાજી થતા દેવી દેવતા પણ રાજી થઈ જાય છે જેનાથી સુખ શાંતિ સંતતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે
ભાદરવા મહિનાની પૂનમ 18 સપ્ટેમ્બરના રોજ છે. આ ભાદરવા મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ છે. તે પછી વદ પક્ષ શરૂ થઈ જશે. આ પર્વમાં સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ કે પવિત્ર નદીના જળથી સ્નાન કરવામાં આવે છે. પછી સૂર્યને અર્ઘ્ય આપીને આખો દિવસ દાન, વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો સંકલ્પ લેવામાં આવે છે. એટલે આ દિવસને સ્નાન અને દાનની પૂનમ કહેવામાં આવે છે. આ દિવસે તલ અને કપડાનું દાન કરવાથી મહાપુણ્ય મળે છે. ભાદરવા મહિનાની પૂનમના દિવસે સૂર્યપૂજા કરવાથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થાય છે.
પુરાણો પ્રમાણે ભાદરવા મહિનાની પૂનમ તિથિએ તીર્થ સ્નાન, દાન, વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ પામે છે. આ દિવસે કરવામાં આવતી વિષ્ણુ પૂજાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ દિવસે ચંદ્ર પણ સોળ કળાઓથી પૂર્ણ હોય છે. ગ્રંથો પ્રમાણે આ દિવસે એક સમય ભોજન કરીને પૂનમ, ચંદ્ર કે સત્યનારાયણનું વ્રત કરવામાં આવે તો બધા જ પ્રકારના સુખ, સંપત્તિ અને શ્રેયની પ્રાપ્તિ થાય છે. ભાદરવી પૂનમથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે.
આ પૂનમથી પિતૃ પક્ષ શરૂ થાય છે. આ દિવસે સૂર્યને તલ મિશ્રિત જળથી અર્ઘ્ય આપવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. ભાદરવા મહિનાની પૂનમના દિવસે પવિત્ર નદીઓના જળથી સ્નાન કરવાની પરંપરા છે. ભાદરવા મહિનાની પૂનમના દિવસે પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કે ધનનું દાન કરવામાં આવે છે. આ દિવસે ઘરમાં લક્ષ્મી-નારાયણને પ્રસન્ન કરવા માટે વ્રત કરવામાં આવે છે અને સત્યનારાયણની કથા સાંભળામાં આવે છે. ભાદરવા મહિનાની પૂનમ તિથિએ અનાજ, પાણી, બૂટ-ચપ્પલ, સૂત્તરના કપડાં અને છત્રીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
► શ્રાદ્ધ પક્ષ ભાદરવા સુદ પુનમથી શરૂ થઇને ભાદરવા વદ અમાસે પૂર્ણ
બીજી તરફ જો કોઈને કુંડળીમાં પિતૃ દોષ હોય કે કોઈ અન્ય કારણે પિતૃદોષ ઊભો થયો હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષનો આ સમય શ્રેષ્ઠ છે. હિંદુ પંચાંગ અનુસાર શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષ ભાદરવા સુદ પુનમથી શરૂ થઇને ભાદરવા વદ અમાસે પૂરો થાય છે.
આ વખતે પિતૃ પક્ષ (શ્રાદ્ધ પક્ષ) 17 સપ્ટેમ્બર 2024થી શરૂ થઈ રહ્યો છે. શ્રાદ્ધ 16 દિવસ પછી 2 ઓક્ટોબર 2024ના રોજ સમાપ્ત થશે. પિતૃ પક્ષ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને અમાસના દિવસે પૂર્ણ થાય છે. આને સર્વ પિતૃ અમાસ કહે છે. જે પૂર્વજોની મૃત્યુ તારીખ આપણે જાણતા નથી છે, તે પૂર્વજો માટે અમાસના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે.
ધર્મ પ્રમાણે પિતા માટે શ્રાદ્ધ પિંડદાન અને જળ તર્પણ પુત્રએ કરવું જોઇએ પરંતુ પુત્ર ન હોય તો પુત્રી ,પત્ની, ભાઈ કે ભાઈના સંતાનો પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, મૃત વ્યક્તિના પુત્ર, પૌત્ર, ભાઈના સંતાનને પિંડદાન કરવાનો અધિકાર હોય છે તેમ જ તેમની શ્રાદ્ધ કરવાની પણ ફરજ હોય છે ગરૂડ પુરાણ પ્રમાણે જેને પુત્ર ન હોય તો પુત્રીઓ કરી શકે અને તે પણ ના હોય તો ભાઈ-ભત્રીજા, માતાના કુળના લોકો એટલે મામા કે મામાનો દિકરો અથવા શિષ્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે.
માર્કણ્ડેય પુરાણ અનુસાર જો કોઇ વ્યક્તિ ને સંતાનમાં પુત્રન હોય તો તેની દીકરીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે. જો તે પણ ન હોય તો પત્ની શ્રાદ્ધ-કર્મ કરી શકે છે. પત્ની પણ ન હોય તો કુળના કોઇ વ્યક્તિ દ્વારા પણ શ્રાદ્ધ કરી શકાય છે. માતા-પિતા કુંવારી કન્યાઓને પિંડદાન કરી શકે છે. પરણિતા દીકરીના પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરનાર ન હોય તો પિતા તેનું પણ પિંડદાન કરી શકે છે. દીકરીનો દીકરો અને નાના એકબીજાનું પિંડદાન કરી શકે છે. આ પ્રકારે જમાઈ અને સસરા પણ એકબીજાનું પિંડદાન કરી શકે છે. પુત્રવધૂ પણ પોતાની સાસુનું પિંડદાન કરી શકે છે. હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષ માં પિતૃ દેવો ને તૃપ્ત કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે સદગત પિતૃ દેવો ના આશીર્વાદ થી સંતતિ સમૃદ્ધિ સુખ અને શાંતિ મળે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Shraddha Paksha , Pitru-Paksha-2024-shraddha-paksha-starts-what-will-be-impact-of-one-day-decline , Shraddha Paksha: આવતીકાલથી શરૂ થઇ રહ્યાં છે શ્રાદ્ધ , શ્રાદ્ધની આ વિધિ કરવાથી પિતૃઓ થશે પ્રસન્ન